પરિશ્રમ એ જ પારસમણિ પર નિબંધ Parishram a ja Parasmani Essay in Gujarati

પરિશ્રમ એ જ પારસમણિ પર નિબંધ Parishram a ja Parasmani Essay in Gujarati:

“उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः।”

કોઈ પણ કાર્ય શ્રમ, વિના સિદ્ધ થતું નથી. જંગલના રાજા સિંહને પણ શિકાર કરવા જવું જ પડે છે.

પરિશ્રમ એ જ પારસમણિ પર નિબંધ Parishram a ja Parasmani Essay in Gujarati

કોઈએ ઠીક જ કહ્યું છે : ‘મનુષ્ય મહેનત કર્યા વિના ભોજન ન કરવું જોઈએ. જે પરિશ્રમ કરે છે તેને જ ભોજન કરવાનો અધિકાર મળે છે. ભગતગીતામાં પણ શ્રમ કર્યા વિના ભોજન નહીં લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીએ પણ શ્રમનું ગૌરવ કર્યું હતું. સત્યાગ્રહ આશ્રમમાં તેઓ નિયમિત શ્રમયજ્ઞ કરતા અને તમામ આશ્રમવાસીઓને એ શ્રમમાં સામેલ કરતા હતા.

જે વ્યક્તિ કોઈની દયા પર જીવે છે તેને લાંબા ગાળે ઘણું નુકસાન થાય છે. જે વ્યક્તિ શ્રમ આધારિત જીવન ગુજારે છે તે સુખ અને સંતોષ પામે છે. બાળકોમાં શાળાજીવન દરમિયાન જ શ્રમ કરવાની ટેવ કેળવાય તે માટે વિદ્યાર્થીઓ પાસે વર્ગસફાઈ, મેદાનની સફાઈ, બાગકામ વગેરે શ્રમની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

સમાજનો શિક્ષિત વર્ગ મોટે ભાગે શ્રમથી દૂર ભાગે છે. આવા લોકો પરિશ્રમ વિશે આલંકારિક ભાષામાં સુંદર લેખ લખી શકે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે શ્રમ કરવાનું પસંદ કરતા નથી. લોકો કડિયા, સુથાર, લુહાર, દરજી કે ખેડૂતના શ્રમને આજે પણ હલકું કામ સમજે છે. ઑફિસમાં બેઠેલા અધિકારીઓ અને કારકુનો ખુરશીમાં બેઠાં બેઠાં પોતાનાં કાર્યો બીજા લોકોની પાસે કરાવવામાં જ પોતાની મહત્તા સમજે છે. શારીરિક શ્રમ પ્રત્યેની સૃગ એ આપણા દેશનું મોટામાં મોટું દૂષણ છે. શારીરિક કામ કરવાથી સ્વાથ્ય સારું રહે છે. બેઠાડું જીવન જીવનાર વ્યક્તિઓ અનેક રોગોના ભોગ બને છે. આવા લોકો તન અને મનથી સ્વસ્થ રહી શકતા નથી.

વિદેશોમાં શ્રમની બાબતે આપણા દેશ કરતાં જુદી પરિસ્થિતિ છે, ત્યાં શ્રમનું ગૌરવ કરવામાં આવે છે. ત્યાં દરેક વ્યક્તિ પોતાનું કામ જાતે જ કરે છે. ઘરકામને માટે લોકો ભાગ્યે જ નોકરચાકર રાખે છે. અમેરિકામાં દરેક જણ પોતાની ગાડી પોતાની જાતે જ ધુએ છે. વિદેશમાં કોઈ કામને નાનું કે હલકું ગણવામાં આવતું નથી. ત્યાં જો કોઈ વ્યક્તિ પોતાનું કામ જાતે ન કરે તો તેનો રોજિદો જીવનવ્યવહાર જ ખોરવાઈ પડે. આપણા દેશમાંથી પરદેશ ગયેલા ઘણા લોકો હૉટલમાં કપ રકાબી ધોવાથી માંડીને શેરીઓ વાળવા સુધીનાં કામો પણ કરે છે. વિદેશ ગયેલો ભારતીય નાગરિક ત્યાં શારીરિક શ્રમ કરે છે, પણ એ અહીં પરત આવે ત્યારે વળી પાછો ‘શેઠ’ થઈ જાય છે.

પ્રાચીન કાળમાં ત્રષિમુનિઓ દ્વારા સ્થાપવામાં આવેલી આશ્રમશાળાઓમાં શ્રમનો ખૂબ મહિમા હતો. આપણા દેશના ઘણા મહાપુરુષોએ શ્રમનું વિશેષ ગૌરવ કર્યું છે. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ, વિનોબા ભાવે, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા વગેરેએ તેમના જીવનમાં સાદાઈ અને શ્રમને જ પ્રાધાન્ય આપ્યું છે.

કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આપણે પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શથી જ સુખી થઈ શકીએ. આથી આપણે શ્રમ કરવા માટે હરહંમેશ તત્પર રહેવું જોઈએ.