જનતા લોકશાહીનું સાચું બળ પર નિબંધ People are the True Force of Democracy Essay in Gujarati

જનતા લોકશાહીનું સાચું બળ પર નિબંધ People are the true Force of Democracy Essay in Gujarati OR Janta Lokshahi Nu Sachu Bal Guajrati Nibandh: ભારત લોકશાહી દેશ છે. લોકશાહી એટલે લોકોનું, લોકો માટેનું અને લોકો દ્વારા ચાલતું રાજ્ય. લોકશાહી એટલે પ્રજાસત્તાક શાસનતંત્ર, જેમાં આખરી સત્તા પ્રજાના હાથમાં હોય છે.

જનતા લોકશાહીનું સાચું બળ પર નિબંધ People are the True Force of Democracy Essay in Gujarati

લોકશાહીમાં વિવિધ ક્ષેત્રે ચૂંટણીઓ થાય છે : ગામના વહીવટ માટે ગ્રામપંચાયતની, તાલુકાના વહીવટ માટે તાલુકા પંચાયતની, જિલ્લાના વહીવટ માટે જિલ્લા પંચાયતની, રાજ્યના વહીવટ માટે વિધાનસભાની અને દેશના વહીવટ માટે લોકસભાની ચૂંટણી થાય છે. પુખ્ત વયના મતદારો મતદાન કરે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ શાસન કરે છે. તેઓ શાસકો કહેવાય છે.

શાસક પક્ષના જે નેતાઓ પોતાને જનતાના સેવક ગણીને પ્રજાકલ્યાણનાં કામો કરે છે તેઓ જનતાના પ્રિયપાત્ર બને છે. તે પોતાના વિસ્તારની જનતાને નિયમિત મળે છે. તેમની જરૂરિયાતો પર ધ્યાન આપે છે. તેમનાં રચનાત્મક સુચનોને આવકારે છે અને તે પૂરાં કરવાના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરે છે. આવા નેતાઓ ચૂંટણી આવતાં ફરીથી ઉમેદવારી કરે છે અને જનતા તેમને ખોબલેખોબલે મતો આપીને વિજેતા બનાવે છે. તેમના કાર્યો જ તેમનો પ્રચાર કરે છે. તે સાચા લોકસેવક કહેવાય છે.

કેટલાક નેતાઓ જનતાના મતોથી ચૂંટાઈ આવ્યા પછી પોતાની જાતને જનતાના. માલિક ગણવા માંડે છે, તેઓ જનતાવિમુખ બની જાય છે. જનતાના પૈસે તાગડધિન્ના કરે છે. બંગલાઓમાં રહે છે અને ગાડીઓમાં ફરે છે. તેઓ જનતાને મળવાનું અને જનતાના પ્રશ્નોને વાચા આપવાનું ટાળે છે. તેઓ કોઈ કામ લાંચ લીધા વિના કરતા નથી. તેઓ ભ્રષ્ટાચારમાં રાચે છે, તેઓ યેનકેન પ્રકારે અઢળક મિલકત એકઠી કરે છે. ચૂંટણી વખતે પોતે જનતાને આપેલા વચનો ભૂલી જાય છે. તે વચનો પૂરાં કરવાના તેઓ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરતા નથી. મતદારો ભલે અભણ હશે પરંતુ ભોટ તો નથી જ. તેઓ આવા ઉમેદવારોને ઓળખી લે છે અને જ્યારે તેઓ ફરીથી ચૂંટણીમાં ઊભા રહે છે ત્યારે તેમને હરાવીને બરાબર પાઠ ભણાવે છે. આથી સત્તાના મદમાં રાચતા, પ્રજાની અવગણના કરતા, હવામાં ઊડતા શાસકો ફૂટપાથ પર આવી જાય છે. જનતા જનાર્દનની તાકાત તેમને જમીન પર ચાલતા કરી મૂકે છે.

લોકશાહીનું સાચું બળ જનતા જ છે એટલે જનતા જેટલી જાગ્રત હશે તેટલી જ લોકશાહી સફળ થશે, જનતા અભણ હશે, ને કોમવાદ, જ્ઞાતિવાદ, સગાવાદમાં રાચતી હશે તો સાચા ઉમેદવારને ઓળખી નહિ શકે, તે લોભલાલચમાં ફસાઈને પોતાનો કીમતી મત વેડફી નાખશે. પરિણામે અયોગ્ય ઉમેદવારો ચૂંટાઈ આવશે અને દેશની પ્રગતિ અટકી જશે. આથી જ લોકશાહીમાં જનજાગૃતિનું ઘણું જ મહત્ત્વ છે. શિક્ષણ, રેડિયો, ટીવી, સમાચારપત્રો જેવાં માધ્યમોથી જનજાગૃતિનું મહત્ત્વનું કાર્ય થઈ શકે છે. જનતા જાગ્રત હશે તો જ દેશને સમૃદ્ધ લોકશાહી મળી શકશે.