જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો પર નિબંધ If World War III happens Essay in Gujarati

જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો પર નિબંધ If World War III happens Essay in Gujarati: યુદ્ધનું નામ સાંભળતાં જ ભલભલાનું કાળજું કંપી ઊઠે છે. જે દેશોમાં યુદ્ધ થાય છે ત્યાં કેવળ વિનાશ જ વેરાય છે. યુદ્ધ એ માનવીની પાશવી વૃત્તિનું પરિણામ છે. આપણું વિશ્વ બે વિશ્વયુદ્ધોનાં ભયંકર પરિણામો ભોગવી ચૂક્યું છે. જગતે અણુશક્તિની ભયંકર વિનાશકતા જોઈ લીધી છે. આ વિશ્વયુદ્ધોમાં અનેક દેશો બરબાદ થઈ ગયા હતા, લાખો માણસો મૃત્યુ પામ્યા હતા અને લાખો ઘાયલ થયા હતા. અબજો રૂપિયાની માલમિલકતનો નાશ થયો હતો અને અબજો રૂપિયાનું આંધણ થયું હતું. એણુબૉમ્બ(Atom Bomb)ના એક જ ધડાકાથી ઘડીના છઠ્ઠા ભાગમાં જાપાનના હિરોશીમા અને નાગાસાકી – એ બંને શહેરો નામશેષ થઈ ગયાં હતાં. એમાં પંચોતેર હજાર લોકો માર્યા ગયા હતા. એટલું જ નહીં, અણુરજની અસરને લીધે આજે પણ જાપાનમાં ખોડખાંપણવાળાં બાળકો જન્મે છે.

જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો પર નિબંધ If World War III happens Essay in Gujarati

જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો પર નિબંધ If World War III happens Essay in Gujarati

પહેલા વિશ્વયુદ્ધનાં ભયંકર પરિણામો જોયા પછી વિશ્વના કેટલાક ડાહ્યા. રાજપુરુષોએ બીજા વિશ્વયુદ્ધને અટકાવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. આમ છતાં, વીસ વર્ષ બાદ બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. ભૂતકાળના આ અનુભવો પરથી હવે ત્રીજું વિશ્વયુદ્ધ નહીં જ થાય એવું ખાતરીપૂર્વક કહી શકાતું નથી. આજે વિશ્વ ત્રીજા યુદ્ધના જ્વાળામુખીની ટોચ. પર બેઠેલું જણાય છે. આ જ્વાળામુખી ક્યારેક ફાટશે એની બધાને ચિંતા છે.

જોકે આજે પણ દુનિયાના જુદાજુદા દેશોમાં નાનાંમોટાં યુદ્ધો તો થયા જ કરે છે. શ્રીલંકામાં તામિલ વ્યાધ્રો અને સિંહાલીઓ વચ્ચે, પૅલેસ્ટાઇનમાં આરબો અને યહૂદીઓ વચ્ચે , ઇરાક અને ઈરાન વચ્ચે, ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ને કોઈ કારણે સંઘર્ષ થયા જ કરે છે. તેથી દુનિયાના બધા દેશોમાં શસ્ત્રદોડ પણ અવિરત ચાલુ રહી છે. વિશ્વનાં આગળપડતાં રાષ્ટ્રોમાં આજે પણ અણુશસ્ત્રોના ભંડારો અકબંધ છે.

ન કરે નારાયણ ને ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો આ પૃથ્વી પરથી સમગ્ર જીવસૃષ્ટિનો નાશ થઈ જાય; કારણ કે ત્રીજું વિશ્વયુદ્ધ અણુશસ્ત્રો વડે જ લડાશે. આજે જમીન પર, જળવિસ્તારમાં અને અવકાશમાં લડી શકાય એવાં અદ્યતન અને ભારે વિનાશક શસ્ત્રોનું નિર્માણ થઈ ચૂક્યું છે. વળી, સંસારમાં યુદ્ધખોરો અને યુદ્ધનિષ્ણાતોનો પણ તોટો નથી. આથી યુદ્ધનો ખતરો કોઈ દેશની સરહદ પર જ સીમિત રહેશે એવું માનવાની જરૂર નથી. લડાયક વિમાનો અને સ્વયંસંચાલિત શસ્ત્રો ગમે તે ઘડીએ ગમે ત્યાંથી દુશમન દેશમાં ઘૂસી જઈને બૉમ્બવર્ષ કરી આવશે. તેનાથી ભયંકર સંહાર થશે. ત્રીજા વિશ્વયુદ્ધમાં અણુબૉમ્બ, હાઇડ્રોજન બૉમ્બે અને ન્યૂટ્રૉન બૉમ્બનો પણ છૂટથી ઉપયોગ થશે. અણુબૉમ્બ અને રાસાયણિક શસ્ત્રોની ઝેરી અસરથી કદાચ સમગ્ર જીવસૃષ્ટિનો નાશ થઈ જશે. કોઈ કોઈના મોત પર આંસુ સારવા જીવિત બચ્યું નહિ હોય ! મૃતદેહોની અંતિમક્રિયા કરનારું પણ કોઈ જીવતું નહિ હોય. બૉમ્બવર્ષા કરનાર દેશોના લોકોનો પણ સર્વનાશ થઈ જશે. અરે, વિશ્વયુદ્ધમાં તટસ્થ રહેલા દેશો પણ વિનાશમાંથી બચી શકશે નહિ. અણુરજની વિનાશક અસરથી સમગ્ર વિશ્વમાં કોઈ પણ જીવ બચી શકશે નહિ.

મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇને વિશ્વને ગંભીર ચેતવણી આપતાં કહ્યું હતું કે માનવીએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો યુદ્ધનો ત્યાગ કરવો જ પડશે. ત્રીજું વિશ્વયુદ્ધ સમગ્ર જીવસૃષ્ટિનો સર્વનાશ નોંતરશે.

આપણે મહાત્મા ગાંધીના અહિંસાના સંદેશાનો મહિમા સમજીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે તે વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધથી બચાવે. એવું કહેવાનું મન પણ થાય છે કે :

“હે વિશ્વમાનવી,
તારું આ ગાંડપણ ક્યાં જઈ અટકશે?
ભાઈ થઈ તું ભાઈનો વિનાશ કરશે?
છોડ આ ગાંડપણ, અપનાવ શાણપણ,
‘જીવો ને જીવવા દો’નો પાઠ તું ભણ.”