સ્વચ્છતા નું મહત્વ પર નિબંધ Cleanliness Essay in Gujarati

સ્વચ્છતા નું મહત્વ પર નિબંધ Cleanliness Essay in Gujarati OR Swachata Nu Mahatva Gujarati Nibandh: આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા. જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી. આ સૂત્રો આપણે જીવનમાં વણી લેવાં જોઈએ. ગાંધીજીએ તો આગળ વધીને ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ એવું સૂત્ર આપ્યું.

સ્વચ્છતા નું મહત્વ પર નિબંધ Cleanliness Essay in Gujarati

સ્વચ્છતા નું મહત્વ પર નિબંધ Cleanliness Essay in Gujarati

શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જરૂરી છે. આપણે આંખ, કાન, નાક, ચામડી, વાળ, નખ, દાંત વગેરે અવયવોને સ્વચ્છ રાખવાં જોઈએ. સ્નાન કરતી વખતે શરીરનાં બધાં અંગોની સારી રીતે સફાઈ કરવી જોઈએ. આપણાં કપડાં પણ સ્વચ્છ હોવાં જોઈએ. સ્વચ્છ શરીર અને સ્વચ્છ કપડાં આપણા મનને સ્વસ્થ રાખે છે. આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને આપણા ઉત્સાહમાં વધારો થાય છે.

જાહેર આરોગ્ય માટે ઘર અને મહોલ્લાની નિયમિત સફાઈ થવી જરૂરી છે. આપણે આપણા ઘરનાં બારીબારણાં, ભોંયતળિયું, છત, દીવાલો વગેરેની નિયમિત સફાઈ કરવી જોઈએ. ઘર સુંદર હોય અને તેમાં સુંદર રાચરચીલું વસાવેલું હોય પરંતુ તેને સ્વચ્છ રાખવામાં આવતું ન હોય તો તે સુંદર લાગતું નથી. ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવો જોઈએ. ક્યાંય ગંદકી કે કચરાના ઢગલા ન થવા દેવા જોઈએ. કચરાના ઢગલામાંથી દુર્ગંધ પ્રસરે છે અને જંતુઓ ઉત્પન્ન થાય છે. તેનાથી રોગચાળો ફેલાય છે. બધે કચરાપેટીઓની સગવડ કરી તેમાં જ કચરો નાખવો જોઈએ.

આપણો દેશ ગામડાઓનો બનેલો છે. લોકોમાં કેળવણીના અભાવે ઘણાં ગામડાંમાં ગંદકીનો પાર હોતો નથી. લોકોના ઘરનાં આંગણાં જ ઉકરડા બની જાય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે. તેથી ત્યાં માખી અને મચ્છરનો બેસુમાર ઉપદ્રવ થાય છે. લોકો ગમે ત્યાં થૂકે છે અને પોતાનું નાક સાફ કરે છે. આથી ગામડાના લોકો અનેક રોગોના ભોગ બની જાય છે. શહેરની ચાલીઓ અને પોળોમાં પણ લગભગ આવી જ સ્થિતિ પ્રવર્તે છે.

ગાંધીજીએ સફાઈને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. તેમણે આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા. આથી આશ્રમવાસીઓ રોજ સવારે સમૂહમાં સફાઈકામ કરતા, એમની સાથે ગાંધીજી પણ સફાઈકામમાં જોડાતા. કેટલીક નિશાળોમાં શિક્ષણકાર્યની શરૂઆતમાં સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવે છે. “નડું તાતીમ સારૂં સે શુરૂ હોતી હૈ”  એ બુનિયાદી શિક્ષણનું સૂત્ર છે. વળી, શ્રમશિબિરો અને સામૂહિક સફાઈ એ આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે. એ યજ્ઞકાર્યમાં સહુ જોડાય એ મહત્ત્વનું છે.

સ્વચ્છતા જાળવવાની જવાબદારી ગામડાંમાં પંચાયતોની અને શહેરોમાં સુધરાઈની હોય છે. તેઓ પોતાની જવાબદારી નિભાવે પણ છે. અનેક કર્મચારીઓ અને સફાઈ કામદારો સફાઈ જાળવવાના કામે લાગે છે. સફાઈની આ પ્રવૃત્તિમાં લોકોનો સાથસહકાર પણ એટલો જ જરૂરી છે. લોકો જાગ્રત હોય તો જ સ્વચ્છતા જાળવી શકાય.

અમુક દેશોમાં સ્વચ્છતા અંગે સરકાર અને પ્રજા ખૂબ સભાન અને જાગ્રત હોય છે. ત્યાં ક્યાંય ગંદકી જોવા મળતી નથી. માખી મચ્છરનું તો નામનિશાન પણ હોતું નથી. અમેરિકામાં એક વાર ફળના કરંડિયામાંથી એક માખી મળી આવી ત્યારે એ સમાચાર ટીવી પર પ્રસારિત થયા હતા. આ બનાવ અંગે ઊંડી તપાસ પણ કરવામાં આવી હતી. સ્વચ્છતા અને આરોગ્ય વિશે આવી જાગૃતિ હોય ત્યાં જ સ્વાથ્યની યોગ્ય જાળવણી થઈ શકે.

આપણી સરકાર ટીવી, રેડિયો અને વર્તમાનપત્રો જેવાં પ્રસાર માધ્યમો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. આવા કાર્યક્રમોની લોકો પર સારી અસર થાય છે, સાથેસાથે સ્વચ્છતા જાળવવા અંગેના નિયમો ઘડીને સરકારે તેનો સખતાઈથી અમલ પણ કરાવવો જોઈએ. સફાઈ ઝુંબેશ દ્વારા પણ લોકજાગૃતિ લાવી શકાય. ઠેરઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખાવીને પણ લોકજાગૃતિનું કામ કરી શકાય છે.